૩૧/૫૩ સ્ટાર બિલ્ડીંગ,
ગોખલે રોડ નોર્થ, મુંબઈ
૨૮ ૧-૭-૫૩.
હેમેન્દ્ર,
જત લખવાનું કે તારો અત્યંત
ભાવનાશીલ અને પ્રેમાળ પત્ર
તેમજ એક બે પોસ્ટકાર્ડ
મળ્યાં પરંતુ મેં આપસુખે તારા
એકેય પત્રનો જવાબ ન આપ્યો
અને તેથી તારું દીલ
દુભાવ્યું, અને તને ખોટા
વિચારોના વમળોે ચડાવી દીધો, તે આ વખતના
પત્રમાં લખ્યું છે કે મેં
તારા પત્રનો ખોટો અર્થ કર્યો
છે અને મને ખોટું
લાગ્યું છે એટલે જ
તને પત્ર નથી લખતો
પણ મારા અંતરમાં એવું
કાંઈ જ નથી. તારા
પ્રત્યે મારો જે પ્રેમ
પહેલાં હતો તેના કરતા
પણ અત્યારે વિશેષ છે અને દિનપ્રતિદિન
વધતો જ રહ્યો હોય
તેવું મને લાગે છે
પરંતુ મારાથી દૂર વસેલ તું
એ ક્યાંથી સમજી શકે? મને
તારાથી જરા પણ ખોટું
લાગ્યું નથી અને ભવિષ્યમાં
એવું બનશે તો પણ
મને તો ખોટું લાગશે
જ નહિ.
૧૧
મહિના થયા મેં તને
પત્ર લખ્યો નથી તેથી તને
મારા પ્રત્યે જરાક શંકા ઉત્પન્ન
થઈ હશે પરંતુ હું
આળસ અને નકામી ઘમાસનને
લઈને પત્ર લખી શક્યો
ન હતો. હંમેશા જ્યારે
મને તારા પર પત્ર
લખવાનું મન થતું ત્યારે
એમ વિચાર આવતો કે નિરાંતે
વિગતવાર તને "લાંબો" પત્ર લખીશ પરંતુ
મારી ઈચ્છા પુરી થતી જ
નહિ. કારણ કે દરરોજ
લગભગ સવારના ૮ થી ૧૧
સુધી ઘરે મારા કાકા
હોય એટલે તેમની હાજરીમાં
મને પત્ર લખવા ગમતું
નહિ. અને આજે મારે
રજા હોવાથી અને કાકા માર્કેટમાં
ગયાથી નિરાંત કરીને તને પત્ર લખવા
બેઠો છું. આ વખતે
તો ૨૦ મી ઓક્ટોબરે
જૂનીયરની પરીક્ષા આપવાની છે. ખરું કહું
તો કાંઈ વંચાતું નથી
અને હંમેશા પરીક્ષાની બીક રહ્યા કરે
છે અને તેના જ
વિચારો આવ્યા કરે છે. મારી
આટલા વરસોની જીંદગીમાં આ પહેલી જ
વાર ફેઈલ થયો છું
એટલે મને ખુબ લાગી
આવી આવ્યું છે. આ વખતે
તો મેં કોઈ
પણ
વર્ષે આટલી મહેનત કરી
ન હતી એટલી સખત
મહેનત કરેલી. દિવસના લગભગ દશથી અગીયાર
કલાક સુધી છેલ્લા એક
મહિનાથી વાંચતો હતો તેમ છતાં
જ્યારે મેં સાંભળ્યું કે
હું ફેઈલ થયો છું
ત્યારે પહેલાં તો મને માનવામાં
જ ન આવ્યું અને
પછી તો ખરેખર મને
નવાઈ લાગી કે ધાર્યા
કરતાં સાવ ઊંધુ જ
પરિણામ આવ્યું? અંતે તો મનને
મનાવવા માટે કહેવાનું રહ્યું.
કે આપણે તો આપણાથી
બનતો પુરુષાર્થ કર્યો અને પરિણામ માટે
ભગવાન પર છોડી દીધું
તેની જેવી મરજી હતી
તેવું થયું. આ તો થઈ
મારી વાત કે જે
વાંચીને તને મનમાં થશે
કે હું કેટલો બધો
કમનસીબ છું.
અહીંનો
કોઈ મિત્રો પણ મળતા નથી
કોણ જાણે ક્યાં સઘળાં
ગાયબ થઈ ગયા છે?
મંકોડી ત્રણ ચાર દિવસ
પહેલાં મને અને કાકાને
મળ્યો હતો. કાકા સાથે
વાત કરેલી
પરંતુ
હું તો બાજુમાં ઊભો
રહેલો. મેં સાંભળ્યું છે
કે રાજેન્દ્ર, રણછોડ અને મહેન્દ્રનું સગપણ
થઈ ગયું છે. મેં
તો તેઓના તરફથી લગ્નની કંકોત્રીની આશા છોડી દીધી
છે. મધુકાંતનું પણ સગપણ થઈ
ગયું છે. હવે તારા
તરફથી શુભ સમાચાર ક્યારે
મળશે ?
તારા
પત્રથી જાણ્યું કે અનુભાઈને મોટાભાઈ
સાથે નજીવી બાબત માટે બોલાચાલી
થવાથી કલકત્તા જતાં રહ્યાં છે
અને હમણાં તમારા કુટુંબમાં સંબંધ બરાબર રહ્યો નથી. હું ધારું
છું ત્યાં સુધી ગુજરાત અને
કાઠિયાવાડનું એકેય સંયુક્ત કુટુંબ
એવું નહિ હોય કે
જેમાં દેરાણી-જેઠાણી ને લઈને કૌટુંબીક
ઝગડાઓ થતા ન હોય.
આપણામાં કહેવત છે ને કે
"જ્યાં ગામ હોય ત્યાં
ઉકરડો હોય જ". પણ
મારા મત પ્રમાણે અનુભાઈની
વિશેષ ભુલ હોવી જોઈએ.
તેમને પોતાની પત્નીની જ સઘળી વાતો
સાંભળીને ભરમાઈ જવું
નહોતું
જોઈતું. પુરી હકીકત તો
હું જાણતો નથી તેથી વિશેષ
કાંઈ કહેતો નથી. મારા મનમાં
તો હજી સુધી એમ
હતું કે તમારા કુટુંબમાં
પણ અમારા કુટુંબ જેમ સારો સંપ
અને પ્રેમ છે અને તમારું
તમારી ઓફીસ પણ સારી
ચાલે છે. બે ત્રણ
વર્ષ પહેલાં તું જ્યારે મને
સુરેન્દ્રનગર મળવા આવેલો ત્યારે
તે કહેલું કે અમારો ઓફીસ
તો ખુબ સારી ચાલે
છે અને એક ટ્રેક્ટરના
વેચાણે નફો પણ સારો
રહે છે. પણ જ્યારે
તારો છેલ્લો પત્ર વાચ્યો ત્યારે
જ મને સમજ પડી
કે હકીકત તદ્દન બરાબર નથી. આ ખબર
સાંભળી ખરેખર મને આશ્ચર્ય સાથે
દુઃખ થાય છે, કે
બે વરસમાં આટલો બધો ફેરફાર
કેમ થઈ શકે ? પણ
મેં તને આગળ કહ્યું
તેમ ભગવાન આગળ કોઈનું જ
ચાલતું નથી. મનુષ્યે તો
ખરા દીલથી હસતે મુખે હંમેશા
પુરુષાર્થ કરવો જોઈએ અને
તેનું રૂપ આપવાનું પ્રભુ
પર છોડી દેવું
જોઈએ.
તેં આ સઘળી બાબતો
મને જણાવીને તારું મન હલકું કર્યું
હશે? પણ પત્રથી તે
કેટલુંક મન હલકું થાય
? જ્યારે પ્રત્યક્ષપણે એક બીજાને મળીએ
અને વાતચીત કરીએ તેનાથી જે
આનંદ અને મળ્યાનું સુખ
ઉપજે છે તે પત્ર
દ્વારા તો ક્યાંથી મળે
? આ દિવાળીના વેકેશનમાં તું અહીં આવવાનું
કરજે અઠવાડીયું દશ દિવસ અહીં
રહીને પછી તારે રાજકોટ
કે વાડીયા જવું હોય તો
જજે. મારું તને આ હાર્દિક
આમંત્રણ છે કે જે
તું જરૂર સ્વીકારી લઈશ
એવી આશા રાખુ છું.
આપણો
સંબંધ ૯-૧૦ વર્ષ
જૂનો છે અને મને
ખાત્રી છે કે મેં
કદી પણ તને સમજવામાં
ભૂલ કરી નથી. હું
તને અને તારી ભાવનાઓને
સારી રીતે સમજી શકું
છું
અને
તને ખાત્રી આપું છું કે
તું પણ મારી પાસેથી
તેવી જ ભાવનાઓની આશા
રાખજે અને જે દિવસે
મારી ભૂલ થાય તે
દિવસે તું અચુક સુધારજે.
આપણે બન્ને એકબીજાને સારી રીતે જાણીએ
છીએ અને આપણા બે
વચ્ચે જે અદ્વિતીય સંબંધ
હાલ છે તે કાયમને
માટે રહેશે જ.
પત્ર
લખવા બેઠો તે પહેલાં
દરરોજ ઘણા વિચારો આવતા
અને જ્યારે આ પત્ર લખવા
બેઠો ત્યારે સઘળા એની સાથે
હુમલો કરી આવ્યા છે
કે જેથી હવે આગળ
શું લખવું તે જ કાંઈ
સમજ પડતી નથી ? તો
હાલ પુરતું આટલું કહી બંધ કરું
છું. -
તારો
છેલ્લો પત્ર ચાર પાંચ
વખત વાચી ગયો છું
પણ હજી ફરી ફરીને
વાચવાનું
મન થયાં કરે છે.
અત્યંત ઉમળકાભેર અને સહેજ રોષમાં
લખેલ આ પત્ર મને
ખૂબ જ ગમ્યો અને
તારા તરફથી હંમેશા આવા જ "લાંબા"
પત્રની આશા રાખુ તો
ગેરવ્યાજબી તો ગણીશ નહી
ને ?
હાલ
એજ
For ever yours, Naresh








No comments:
Post a Comment